ભરૂચ: જિલ્લામાં સૌ પ્રથમ વખત બ્રેઇન ડેડ વ્યક્તિનું અંગદાન કરાયું

જયાબહેન મોદી હોસ્પિટલમાંથી ડોનેટ લાઈફ સંસ્થાના પ્રયાસોથી કામગીરી, દાન મળવાથી 3 વ્યક્તિને નવ જીવન મળ્યું.

Update: 2021-06-25 11:40 GMT

ભરૂચ જિલ્લામાં સૌ પ્રથમ વખત અંગદાન કરવામાં આવ્યું છે.અકસ્માતમાં બ્રેઇન ડેડ થયેલ વ્યક્તિના કિડની અને લિવરનું દાન કરવાનો પરિવારજનોએ નિર્ણય લેતા સુરતની ડોનેટ લાઈફ સંસ્થા અને અંકલેશ્વરની જયા બહેન મોદી હોસ્પિટલના પ્રયાસોથી આ કામગીરી કરવામાં આવી હતી અને કિડની તેમજ લીવર અમદાવાદની હોસ્પિટલમાં લઇ જઇ 3 વ્યક્તિને નવ જીવન આપવામાં આવ્યું હતું.

અંગદાન એ મહાદાન આ સૂત્ર આપણે ઘણી વાર વાંચ્યું કે સાંભળ્યું હશે પરંતુ ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં પ્રથમ વખત આ સૂત્ર સાર્થક થયું છે અને તેનાથી 3 વ્યક્તિને નવ જીવન મળ્યું છે. સુરતના ઓલપાડ સાયણ રોડ પર આવેલ કુમકુમ બંગલોઝમાં રહેતા 60 વર્ષીય કાંતિભાઈ પ્રજાપતિ ઓલપાડ હાંસોટ રોડ પરથી બાઇક પર પસાર થઈ રહ્યા હતા એ દરમ્યાન રાયમાં ગામ નજીક માર્ગમાં ભૂંડ આવી જતા અકસ્માત સર્જાયો હતો આથી તેઓને પ્રાથમિક સારવાર હાંસોટ સરકારી દવાખાને આપ્યા બાદ વધુ સારવાર માટે અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જો કે ગંભીર ઇજાના પગલે હોસ્પિટલના તબીબોએ તેઓને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા.આથી તેબીબોએ પ્રજાપતિ પરિવારને અંગદાન અંગે માહિતી આપી પરિવારજનોએ અંગદાન માટે સહમતી આપી હતી.

સુરતની લાઈફ ડોનેટ સંસ્થાના નિલેશ માંડલેવાલા અને તેમની ટીમે જરૂરી મંજૂરી લઈ અંકલેશ્વર પહોંચ્યા હતા. જ્યા જરૂરી તબીબી કામગીરી કરી કાંતિભાઈના શરીરમાંથી બે કિડની અને લીવર કાઢવામાં આવ્યા હતા. તેઓની કિડની અમદાવાદની કિડની ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટરમાં જરૂરિયાતમંદ દર્દીને આપવામાં આવી રહી છે તો લીવરનું અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં એક દર્દીના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે.આમ બ્રેઇન ડેડ વ્યક્તિના શરીરના અંગોના કારણે 3 વ્યક્તિને નવજીવન મળ્યું છે.આ કામગીરીમાં સુરતની ડોનેટ લાઈફ સંસ્થાના પ્રતિનિધિઓ અને અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલના તબીબોએ સરાહનીય કામગીરી કરી હતી તો પ્રજાપતિ પરિવારની પહેલના કારણે 3 વ્યક્તિઓને નવજીવન પ્રાપ્ત થયું છે.

Tags:    

Similar News