અંકલેશ્વર તાલુકાના સજોદ ગામ ખાતે આવેલા આંબેડકર નગર ખાતે રહેતા 35 વર્ષીય હરેશ મનહરભાઈ જાદવ તેમની પાડોશમાં રહેતા 10 વર્ષીય માનવ સોલંકી સાથે ગુરુવારની સાંજે 7 કલાકે અડોલ-હજાત ગામ તરફ આવેલા રંગા મામાની ડેરી પર દર્શન કરવાનું કહી નીકળ્યા હતા. ત્યારબાદ બંને હજાત રોડ પર આવેલા ઉકાઈ જમણા કાંઠાની નહેરના નાળાંમાં કોઈ કારણોસર પટકાયા હતાં. બંને નાળામાં પડતા પાણીમાં ડૂબી ગયા હતાં.
જોકે બંને સમય થઈ જતા પણ પરત ઘરે નહિ આવતા બંનેની શોધખોળ શરૂ કરાય હતી. જે બાદ શોધખોળ કરતાં પ્રથમ હાંસોટના ઉતારાજ ગામ પાસેથી 35 વર્ષીય હરેશ મનહર જાદવનો મૃતદેહ ઘટનાસ્થળથી 5 કિલોમીટર દૂરથી મળી આવ્યો હતો. જ્યારે 10 વર્ષીય માનવ સોલંકીનો મૃતદેહ 3 કિમી દૂર રહેલા ધંતુરીયા ગામ નજીક કેનાલમાંથી મળી આવ્યો હતો. ઘટનાની જાણ જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ ભરત પટેલને થતા તેઓ તેમજ હરિપુરા ગામના સરપંચ સંકેત પટેલ, અને નવનીત આહીર સહિત આગેવાનો તેમજ ફાયર કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અંકલેશ્વર તાલુકા પોલીસે બંનેના મૃતદેહને પી.એમ અર્થે મોકલી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.