ભરૂચ: ઝઘડીયા ખાતે ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના દ્વારા પ્રતીક ધરણા યોજાયા

ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના દ્વારા આજરોજ ઝઘડિયા ઇન્ડસ્ટ્રીઅલ એસોસીએશન ઓફિસ સામે પ્રતિકાર ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના દ્વારા અગાઉ ઝઘડીયા મામલતદારને સ્થાનિક બેરોજગારોને રોજગારી આપવા માટે રજૂઆત કરી હતી પરંતુ તેનો કોઇ પરિણામ નહીં આવતા આજ રોજ મોટી સંખ્યામાં સ્થાનિક શિક્ષિત બેરોજગારો પ્રતિક ધરણા કાર્યક્રમ સ્થળે ઉપસ્થિત રહ્યા હતા. આ બાબતે દિનેશભાઈ વસાવાએ જણાવ્યું હતું કે ઝઘડિયાએ આદિવાસી બાહુલ્ય ધરાવતો તાલુકો છે અને અહીં મોટી સંખ્યામાં સ્થાનિક શિક્ષિત યુવાનો બેરોજગાર છે,
છતાં તેમને નોકરી આપવામાં આવતી નથી અને ઝઘડિયા જીઆઇડીસીના ઉદ્યોગ સંચાલકો દ્વારા બિન શિક્ષિત એવા પરપ્રાંતિય યુવાનોને નોકરી પર રાખવામાં આવે છે જે ચલાવી લેવાય નહીં. જો આગામી દિવસોમાં સ્થાનિક શિક્ષિત બેરોજગાર યુવાનોને રોજગારી આપવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેમ ચીમકી ઉચ્ચારી હતી.