દાહોદઃ અરિહંત મિલમાલિક પર ફાયરિંગ, સારવાર માટે વડોદરા ખસેડાયા
નાણાકીય લેવડદેવડની તકરારમાં ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની લોકોમાં ચર્ચા
દાહોદના દેલસર મુકામે આવેલી અરિહંત મિલના માલિક પ્રસંદચંદ જૈન પર અજાણ્યા શક્સોએ ચાર રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવતા ગંભીર રીતે ઘાયલ થયા હતા. નાણાકીય લેવડદેવડની તકરારમાં ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની લોકોમાં ચર્ચા ચાલી રહી છે. ફાયરિંગ કરનાર આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
દાહોદ શહેર નજીક આવેલ દેલસર ગામે અરિહંત દાળ મિલના માલિક પ્રસંદચંદ જૈન પોતાની મિલ પર હતા. દાહોદના કોઈ વ્યક્તિએ પૈસાની લેવડદેવડ બાબતની અદાવતે ખાનગી બંદુકમાંથી ફાયરીંગ કર્યુ ચર્ચામાં છે. જે ફાયરિંગમાં પ્રસંદચંદ જૈનને પેટ અને પગના ભાગે ચાર કારતૂસો વાગ્યા હતા. જેથી તેઓ ઘટના સ્થળે ફસડાઈ પડ્યા હતા.
મિલમાં ઉપસ્થિત લોકોએ માલિકને લોહીલુહાણ હાલતમાં દાહોદના ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. ઉદ્યોગપતિને ગોળી વાગ્યાના સમાચાર પ્રસરતા ની સાથે જ ખાનગી હોસ્પિટલ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. દવાખાને તબીબની પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે એમ્બ્યુલન્સમાં વડોદરા હોસ્પિટલ મુકામે ઇજાગ્રસ્ત ઉદ્યોગપતિને ખસેડવામાં આવ્યા છે. પોલીસે બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસના ચક્રોગતિમાન કર્યા છે.