ગીર સોમનાથ : સોમનાથ મહાદેવ મંદિરના 72મા સ્થાપના દિવસની કરાય ભવ્ય ઉજવણી
સમુદ્ર તટ પર બિરાજમાન સોમનાથ મહાદેવ મંદિરનો આજે વૈશાખ સુદ પાંચમના રોજ તિથિ પ્રમાણે આજરોજ ૭૨મો પ્રાણપ્રતિષ્ઠા દિવસ છે.
ગીર સોમનાથ જિલ્લામાં શિવભક્તોની આસ્થાનું કેન્દ્ર અને સૌરાષ્ટ્રના રત્નાકર સમુદ્ર તટ પર બિરાજમાન આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના આજે ૭૨મા સ્થાપના દિનની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. સોમનાથ મહાદેવની મહાપૂજા, સરદાર વંદના, દિપમાળા, વિશેષ શૃંગાર સહિત આયોજન કરાયું છે. દેશ વિદેશમાં વસતા શિવભક્તોની આસ્થાનું કેન્દ્ર અને સૌરાષ્ટ્રના રત્નાકર સમુદ્ર તટ પર બિરાજમાન આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરનો આજે વૈશાખ સુદ પાંચમના રોજ તિથિ પ્રમાણે આજરોજ ૭૨મો પ્રાણપ્રતિષ્ઠા દિવસ છે.
તા. ૧૧ મે ૧૯૫૧માં વૈશાખ માસની શુકલ પંચમી શુક્રવારે સવારે ૯ કલાક ૪૬ મીનીટે ભારતના મહામહિમ પ્રથમ રાષ્ટ્રપતિ ડોકટર રાજેન્દ્રપ્રસાદના હસ્તે હાલના જ્યોર્તિલિંગની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ દિવ્ય પ્રસંગના પ્રસંગ સાક્ષી ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી.પરમાર કહે છે કે, પ્રતિષ્ઠા સમયે તત્કાલીન રાષ્ટ્રપતિએ શિવલિંગના તળ ભાગે રાખેલી સુર્વણ શલાકા ખસેડીને શિવલિંગ સ્થાપિત કરી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, ત્યારે પવિત્ર ૧૦૮ તીર્થસ્થાનોના અને સાત સમુદ્રોના જળથી શિવલિંગનો અભિષેક કરવામાં આવ્યો હતો..
અને એ ધન્ય પળે ૧૦૧ તોપોના ગગનભેદી નાદ સાથે મંદિરમાં ઘંટનાદ થયો હતો. શિવપ્રસાદ નિર્માણના અધિકૃત ગ્રંથ દીપાર્ણવમાં ઉલ્લેખ છે, કે આવુ શિવલિંગ સર્વલિંગોમાં શ્રેષ્ઠ છે. ગર્ભગૃહ સુર્વણથી મઢેલ છે અને દ્વારો-દ્વારશાખ તથા આગળના સ્થંભો સુર્વણ મઢેલા છે મંદિરના સાત માળ છે. સોમનાથ મંદિર નિર્માણ સદીની મોટી ઘટના ઈતિહાસમાં નોંધાઈ છે. ૮૦૦ વર્ષ પછી નાગરશૈલી મા નિર્માણ પામનાર આ પ્રથમ દેવાલય છે, જેને કૈલાશ મહામેરૂ પ્રાસાદ થી પણ પ્રચલિત છે.
પ્રાચીન યુગથી વર્તમાન યુગ સુધી વારંવાર આક્રમણ, વિસર્જન, સર્જન, આસ્થા, રાજવીઓ શહિદોના સમર્પણ અને શિલ્પકલાનું બેનમુન શિવાલય અને સરદાર વલ્લભભાઈ પટેલના પ્રદાનનુ જીવંત સાક્ષી આ શિવાલય દર્શન પૂજાવિધીથી વર્તમાન યુગમાં દેશવિશ્વમાં સાત સમંદર પાર ઓનલાઈન-સોશ્યલ મીડીયા માધ્યમથી પહોંચે છે. આ પ્રસંગે ઇન્ચાર્જ જનરલ મેનેજર તથા ટ્રસ્ટના કર્મચારીઓ અને સ્થાનિક તિર્થ પુરોહિતો જોડાયા હતાં. સોમનાથ મહાદેવને વિશેષ શૃંગાર અને દિપમાલા કરવામાં આવશે. હાલ મંદિરને ૭૧ વર્ષ પુર્ણ થયા છે, ત્યારે મંદિરના નૃત્યમંડપ અને સભામંડપ આવેલ સુવર્ણકળશ યજમાનઓના અનુદાનથી સુવર્ણ મંડિત થયા છે.