અંદાડામાં દબાણો કરાયા દુર
13થી વધુ લારી-ગલ્લા અને નડતર દૂર કરાયા
PWD,ગ્રા.પં અને સિંચાઇ વિભાગની કાર્યવાહી
જાહેર રસ્તા અને ગામ તળાવ પાસે કરાયુ હતું દબાણ
પોલીસ બંદોબસ્ત સાથે દબાણો કરાયા દુર
અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ ખાતે મુખ્ય માર્ગ અને ગામ તળાવને નડતરરૂપ દબાણોને પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.PWD,ગ્રામ પંચાયત અને સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના પગલે દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ ખાતે PWD, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને સિંચાઇ વિભાગના સંયુક્ત પ્રયાસોથી દબાણ હટાવવાની વિશાળ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જાહેર માર્ગો અને ગામ તળાવ નજીક થયેલા નડતરરૂપ દબાણોને દૂર કરીને વાહનવ્યવહાર અને ગ્રામીણ વિકાસના માર્ગ મોકળા કરવામાં આવ્યા છે.અધિકારીએ માહિતી આપી કે ગામના રસ્તા અને તળાવની સીમામાં થયેલા દબાણો સામે ત્રણ વખત નોટિસો પાઠવી ચેતવણી આપવામાં આવી હતી. છતાં દબાણો નહીં ખસેડવામાં આવતા તંત્રએ કડક કાર્યવાહી અમલમાં મૂકી હતી.
દબાણ હટાવતી વખતે કોઈ અશાંતિ ન ફેલાય તે માટે પોલીસનો પુરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સુલેહ અને શાંતિના માહોલમાં સમગ્ર કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. તંત્રએ 13થી વધુ લારી-ગલ્લા તેમજ અન્ય નડતરરૂપ માળખાને દૂર કરવામાં આવ્યા હતા.