Connect Gujarat
ગુજરાત

ગુજરાત ભાજપના સંગઠનમાંથી ભીખુભાઈ દલસાણિયાને હટાવાયા; યુપીના નેતાની તેમના સ્થાને નિમણૂક

ગુજરાત ભાજપના સંગઠનમાંથી ભીખુભાઈ દલસાણિયાને હટાવાયા; યુપીના નેતાની તેમના સ્થાને નિમણૂક
X

ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે છેલ્લાં બે દાયકાથી કામ કરતા અને નરેન્દ્ર મોદીને અત્યંત વિશ્વાસુ મનાતા ભીખુભાઈ દલસાણિયાને હટાવી દેવાયા છે. ભીખુભાઈ દલસાણિયાના સ્થાને રત્નાકરની ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે નિમણૂક કરાઈ છે. રત્નાકર પહેલાં બિહારમાં ભાજપના સહ-સંગઠન મહામંત્રી તરીકે કામ કરતા હતા. રત્નાકરને બિહાર ભાજપમાં નવા ઉભા કરાયેલા સહ-સંગઠન મહામંત્રીના હોદ્દા પર નિમવામાં આવ્યા હતા.

ઉત્તરપ્રદેશના દેવરિયાના વતની રત્નાકર બિહારમાં નિમાયા એ પહેલાં ઉત્તર પ્રદેશમાં નરેન્દ્ર મોદીના લોકસભા મતવિસ્તાર કાશી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના મતવિસ્તાર ગોરખપુર ક્ષેત્રના સંગઠન મંત્રી તરીકે કામ કરતા હતા. આમ રત્નાકરનું યોગી અને મોદી બંને સાથે કનેક્શન છે. રત્નાકરે કાશી અને વારાણસી બંને મતવિસ્તારોમાં ભાજપ સંગઠનને મજબૂત કરવામાં ભજવેલી ભૂમિકાને ધ્યાનમાં રાખીને તેમને બિહારમાં મહત્વની જવાબદારી સોંપાઈ હતી. રત્નાકર પહેલાં મોદીના મતવિસ્તાર કાશીની જવાબદારી સંભાળતા હતા. જો કે યોગી આદિત્યનાથ યુપીના મુખ્યમંત્રી બનતાં ખાલી પડેલી ગોરખપુર લોકસભા બેઠક પર ભાજપની કારમી હારના પગલે ભાજપે રત્નાકરને ગોરખપુરમા સંગઠનની પણ જવાબદારી સોંપી હતી. લોકસભાની 2019ની ચૂંટણીમાં ગોરખપુર લોકસભા બેઠક ફરી જીતીને રત્નાકરે પોતાની તાકાત સાબિત કરી પછી તેમને 2020માં બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલાં સહ-સંગઠન મહામંત્રી બનાવાયા હતા.

ભીખુભાઈ દલસાણીએ ટ્વિટ કરીને લખ્યુ કે માનનીય શ્રી રત્નાકરજીને ગુજરાતના સંગઠન મહામંત્રી નિયુક્ત થતા સહર્ષ અભિનંદન અને શુભેચ્છા. કેમ કે ભીખુભાઈ લાંબા સમયમાં પાર્ટીની સેવા કરી છે. જબરદસ્ત કુનેહવાળા વ્યક્તિ છે. ત્યારે આવનારા દિવસોમાં ભીખુભાઈને નવી કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. નરેંદ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે પણ ભીખુભાઈની સંગઠનમાં બોલબાલા હતી. પાટીદાર સમાજના ભીખુભાઈ દલસાણીયા તમામ સમાજોમાં લોકપ્રિય છે. એટલુ જ નહી, ભાજપના એક એવા નેતા છે જેમને નાના કાર્યકર્તાથી લઈને કેંદ્ર સરકારના મંત્રીઓ અને દિગ્ગજ નેતાઓ સાથે સીધા સંબંધ છે. ભલે તેમની સંગઠનના મહામંત્રીની જવાબદારીથી દૂર કરાયા હોય પરંતુ તેમના અત્યાર સુધીના રાજકીય કારકિર્દીને ધ્યાનમાં રાખીને એક વાત નક્કી છે કે આવનારા દિવસોમાં ભીખુભાઈને પાર્ટી હાઈકમાંડ કોઈ મહત્વની જવાબદારી સોંપશે.

Next Story