Connect Gujarat
ગુજરાત

છોટાઉદેપુર : બરોડા ડેરીના મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્દઘાટન કરાયું

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક અલ્હાદપુરા દૂધ શીત કેન્દ્ર ખાતે રૂ. ૧૨૦ કરોડના ખર્ચે વડોદરા જિલ્લા સહકારી સંઘ દ્વારા નવનિર્મિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટને ખુલ્લો મૂક્યો હતો.

છોટાઉદેપુર : બરોડા ડેરીના મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્દઘાટન કરાયું
X

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક અલ્હાદપુરા દૂધ શીત કેન્દ્ર ખાતે રૂ. ૧૨૦ કરોડના ખર્ચે વડોદરા જિલ્લા સહકારી સંઘ દ્વારા નવનિર્મિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટને ખુલ્લો મૂક્યો હતો.

મુખ્યમંત્રી દ્વારા ઉદ્દઘાટિત નવ નિર્મિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટમાં દૂધ પ્રોસેસ ક્ષમતામાં ૩ થી ૬ લાખ લીટર પ્રતિ દિન વધારો થશે. દૂધની પેકિંગ ક્ષમતા પ્રતિ દિન ૩ લાખ થવા સાથે સ્ટોરેજ ક્ષમતા ૪ લાખ લીટર થશે. એટલુ જ નહિ ભવિષ્યમાં ૧૧ લાખ લીટર પ્રતિ દિવસ દૂધ સંપાદન પહોંચે ત્યાં સુધીની ક્ષમતા ઉભી થઇ છે. આ નૂતન પ્લાન્ટ આદિવાસી વિસ્તારમાં સ્થપાયેલ હોવાથી રાજ્ય સરકારની દૂધ સંજીવની યોજના વધુ સરળ અને સુલભ બનશે.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સહકારી પ્રવૃત્તિ ગુજરાતમાં ખૂબ વિકસી છે. ગુજરાતના પનોતા પુત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સહકાર મંત્રી અમિત શાહે નવા સુધારા દ્વારા સહકારી માળખાને મજબૂતી આપી છે. ડેરી ઉદ્યોગ એ સહકારિતાની નાભી જેવો ઉદ્યોગ છે. જે લાખો પશુપાલકોને આત્મ નિર્ભર બનાવે છે. સહુનો સાથ, સહુનો વિકાસ અને સહુનો વિશ્વાસએ પ્રધાનમંત્રીનું સૂત્ર સહકારી ડેરી ઉદ્યોગને ખૂબ લાગુ પડે છે. આત્મનિર્ભર ભારત માટે આત્મનિર્ભર ગુજરાત જરૂરી છે. ગુજરાતને આત્મનિર્ભર બનાવવામાં સહકારિતા ઉદ્દીપકનું કામ કરે છે. સ્વરાજની ચળવળ વખતે ગુજરાતમાં સહકારીના પાયા નંખાયા ત્યારે પૂ.મહાત્મા ગાંધી અને સરદાર પટેલ બેલડી દ્વારા તેમને પ્રોત્સાહન અપાયું હતું. ગુજરાતની સહકારી પ્રવૃત્તિ વટવૃક્ષ બની દેશના સીમાડા વટાવી ગઇ છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સહકારિતા મંત્રી અમિત શાહ સમગ્ર દેશને સહકારથી સમૃદ્ધિનો નવો રાહ ચિંધે છે.

આ અવસરે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, બરોડા ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોના પ્રશ્ન સૌને સાથે લઇને ઉકેલવામાં આવ્યો છે. બરોડા ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોને રૂ.૨૭ કરોડ ચૂકવવામાં આવશે. તેમાંથી રૂ. ૧૮ કરોડ જેટલી માતબર રકમ ચૂકવવામાં આવી છે અને બાકીની રકમ આગામી માર્ચ સુધીમાં ચૂકવી દેવાનું ડેરીનું આયોજન છે. આ વિસ્તારમાં રૂ. ૫૫૦ કરોડના ખર્ચથી ૧૯૧ જેટલા વિકાસના કામો રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. જે પૈકી રૂ. ૧૮૦ કરોડના વિકાસ કામો પૂર્ણ થઇ ગયા છે. બોડેલી ફાટકનું કામ પણ ઝડપથી મંજૂર કરવામાં આવનાર છે. બરોડા ડેરીની મૃત્યુ સહાય યોજના હેઠળ ડેરીના મૃતક કર્મચારી નીતિનપટેલના ધર્મપત્ની દીપિકા પટેલને રૂ.૧૦ લાખનો ચેક મુખ્યમંત્રીશ્રીએ અર્પણ કર્યો હતો. પ્રારંભમાં સૌનો આવકાર કરતા બરોડા ડેરીના પ્રમુખ દિનુ પટેલ જણાવ્યું કે, ૧૯૫૭ માં માત્ર ૬ મંડળી અને ૫૦૦ લીટર દૂધથી શરૂ થયેલી બરોડા ડેરી આજે ૧૨૦૦ દૂધ મંડળી સાથે રોજનું ૬.૫૦ લાખ લીટર દૂધ એકત્ર કરે છે. બરોડા ડેરીને મજબૂત કરવામાં વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના પશુપાલકોનો સિંહ ફાળો રહ્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું.

Next Story