ગુજરાતમાં નવી સરકાર, જુનામંત્રી મંડળમાંથી ૬ મંત્રીઓને પડતા મુકાય એવી શકયતા

New Update

ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓના રાજીનામા બાદ નવા સીએમ અને નવી સરકારની રચનાની તૈયારીઓ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે કમલમના સુત્રોના જણાવ્યા અનુસાર, પાટીદાર મુખ્યમંત્રી સહિત બે નાયબ મુખ્યમંત્રીઓમાં એક ઓબીસી નાયબ મુખ્યમંત્રી પદ મહિલાને મળી શકે છે. જ્યારે રૂપાણી મંત્રીમંડળના 6 બિમાર અને નિષ્ફળ રહેલા મંત્રીઓને પડતા મુકી યુવા ધારાસભ્યોને ચાંસ આપવામાં આવી શકે છે.

Advertisment

ખાસ કરીને કોંગ્રેસમાંથી આવેલા અને બારોબાર મંત્રીપદ મેળવનારા કુવરજી બાવળીયા અને જવાહર ચાવડાનું પણ પત્તુ કપાઈ શકે છે. નવા સીએમ મંગળવારે શપથ લે તેવી શક્યતાઓ છે જ્યારે નાયબ મુખ્યમંત્રી અને મંત્રીમંડળની રચના એક અઠવાડિયામાં પૂર્ણ કરી નવી સરકાર કામ કરતી થશે. ગુજરાત ભાજપના પ્રમુખ પદે સીઆર પાટીલની નિમણૂંક થયા બાદ તેમણે કેટલાક કઠોર નિવેદનો કર્યા હતા. જેમા ભાજપને હવે કોંગ્રેસની જરૂર નથી.

આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ અને વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં 60 વર્ષથી વધુ વયના તથા ત્રણ ટર્મથી વધુ ચૂંટાયેલાને ટિકિટ ન આપવાનો નિર્ણય જાહેર કરાયો હતો. પાટીલના આવા નિર્ણય બાદ હવે ભાજપની સરકાર બની રહી છે ત્યારે નવા મંત્રીમંડળમાંથી કોંગ્રેસમાંથી આવેલા અને મંત્રીપદ મેળવેલા બે મંત્રીઓને પડતા મુકવાની સાથે વૃદ્ધ અને બિમાર મંત્રીઓને પણ પડતા મુકી યુવાનોને તક આપવામાં આવે તેવી શક્યતાઓ છે. ગુજરાતના નવા મુખ્યમંત્રીનું ના આજે બપોરે 3 વાગે મળનારી ભાજપના ધારાસભ્યોનું બેઠકમાં નક્કી થઈ જશે. ત્યારબાદ મુખ્યમંત્રીના દાવેદાર રાજ્યપાલ સમક્ષ પક્ષના નેતા એટલેકે મુખ્યમંત્રી પદે શપથ લેવા માટેની મંજૂરી માંગશે. જેના આધારે રાજ્યપાલની મંજૂરી બાદ મંગળવારે માત્ર મુખ્યમંત્રીની જ શપથ વિધિ થઈ શકે છે.

જ્યારે આવતા અઠવાડિયે શ્રાધ્ધપક્ષ શરૂ થતા હોવાથી તે પહેલા જ નવા મંત્રીમંડળની રચના કરીને ખાતાની ફાળવણી કરી દેવામાં આવશે. હાલમાં ગુજરાતમાં રૂપાણીના રાજીનામા બાદ નવા મુખ્યમંત્રી અને નવી સરકારની રચના માટેની કાર્યવાહી પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે ગુજરાતમાં 15 મહિના બાદ વિધાનસભાની ચૂંટણી આવી રહી હોવાથી ભાજપ હાઈકમાન્ડ નવી સરકારની રચનામાં જ્ઞાતિ આધારે મંત્રીમંડળ બનાવી શકે છે. જેમા ઉત્તરપ્રદેશની ભાજપ સરકારની જેમ એક મુખ્યમંત્રી અને બે નાયબ મુખ્યમંત્રી છે. તે જ પેટર્નથી ગુજરાતમાં પણ બે નાયબ મુખ્યમંત્રીની ફોર્મુલા લાવી શકે છે. જેમા મુખ્યમંત્રી તરીકે પાટીદારને મુકી નાયબ મુખ્યમંત્રી તરીકે એક આદિવાસી તેમજ એક ઓબીસીને સ્થાન આપી શકે છે. આ ઉપરાંત રૂપાણી મંત્રીમંડળના 6 મંત્રીઓને પડતા મુકી નવાને સ્થાન આપવામાં આવી શકે છે.

Advertisment