ગુજરાતના રાજકીય સમીકરણો ઝડપથી બદલાય રહયાં છે, વાંચો ગુજરાતની બદલાયેલી રાજનિતિ વિશે

મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલની ભુમિ ગુજરાતના રાજકારણમાં 1995ની સાલથી ભાજપ એકહથ્થુ શાસન કરી રહયો છે. બે ગુજરાતીઓ હાલ દેશના સર્વોચ્ચ રાજનૈતિક સ્થાન પર છે. ગુજરાતના તાત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર વિશ્વમાં પોતાનો ડંકો વગાડયો છે. ગુજરાતને ભાજપની પ્રયોગશાળા ગણવામાં આવે છે ત્યારે છેલ્લા બે દિવસથી ગુજરાતની રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહયો છે.
વાર : શનિવાર
ગુજરાતના રાજકારણમાં શનિવારનો દિવસ એકદમ ચોંકાવનારો રહયો હતો.. અમદાવાદમાં સરદાર ધામના લોકાર્પણનો પ્રસંગ હતો. દેશભરમાંથી પાટીદાર નેતાઓ અમદાવાદમાં ભેગા થયાં હતાં. વડાપ્રધાને દીલ્હીથી ભાષણ આપ્યું હતું અને પાટીદાર સમાજની વાહવાહી કરી હતી. સરદારધામનો આ પ્રસંગ ગુજરાતના રાજકારણમાં ભુકંપ લાવશે તેની કોઇને કલ્પના પણ ન હતી. સરદારધામના કાર્યક્રમમાંથી ભાજપના નેતાઓ ગાંધીનગર સ્થિત કમલમ ખાતે પહોંચ્યાં હતાં. ભાજપના રાષ્ટ્રીય સંગઠનમંત્રી બી.એલ.સંતોષએ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિતના નેતાઓ સાથે બેઠક શરૂ કરી હતી. બેઠક દરમિયાન સમાચાર આવ્યાં કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજયપાલને મળવાનો સમય માંગ્યો છે. થોડીવારમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, સંગઠનના હોદેદારો અને વરિષ્ઠ મંત્રીઓ રાજભવન પહોંચ્યાં અને વિજય રૂપાણીએ મુખ્યમંત્રી તરીકે રાજીનામુ આપ્યું હોવાની જાહેરાત કરવામાં આવી.
ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ તરીકે દીલ્હીથી નવસારીના સાંસદ સી.આર.પાટીલના નામની જાહેરાત કરે છે. સી.આર.પાટીલ પ્રદેશ અધ્યક્ષ બન્યાં બાદ ગુજરાતનો ઝંઝાવતી પ્રવાસ કરે છે અને તેઓનું કાર્યકરો ભવ્ય સ્વાગત કરે છે. અને પછી વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચુંટણી આવે છે અને તેમાં આઠેય બેઠકો પર ભાજપનો ભગવો લહેરાય છે. વિધાનસભાની 182 બેઠકો જીતવા માટેનો સંકલ્પ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ જાહેર કરે છે અને થોડા સમય બાદ કોરોનાના ઇન્જેકશન રેમડેસીવીરના મુદ્દે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી વચ્ચે ટકરાવ થાય છે પણ આ પહેલાં સી.આર.પાટીલે સંગઠનમાં પોતાની મજબુત પકડ જમાવી મોવડીમંડળનો વિશ્વાસ પ્રસ્થાપિત કરી લીધો હોય છે.
હવે બીજો એક સંકેત મોવડીમંડળ તરફથી આપવામાં આવે છે. ભાજપના સંગઠનમાંથી ભીખુ દલસાણિયાને બિહાર મોકલવામાં આવે છે અને બિહારથી રત્નાકર પાંડેને ગુજરાત લાવવામાં આવે છે. કોઇને સ્વપનેય ખ્યાલ ન હતો કે મોદી અને શાહના મનમાં શું ચાલી રહયું છે. શનિવારે અચાનક જ મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામું આપતાં સૌને પુર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ તથા કેશુભાઇ પટેલની યાદ આવી ગઇ હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના 5 વર્ષ 36 દિવસ સુધી ગુજરાતના શાસનની ધુરા સંભાળી હતી અને એક વાત તો ચોકકસ છે કે તેમના શાસનમાં અનેક વિકાસ કામો થયાં છે. તાજેતરમાં વિજય રૂપાણીએ તેમના પાંચ વર્ષના સુશાસનની ઉજવણી કરી હતી. ગુજરાત સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71મા જન્મદિવસની ઉજવણીની તૈયારીઓ કરી રહી હતી પણ હવે કેવડીયામાં વડાપ્રધાન તેમનો જન્મદિવસ ગુજરાતના નવા મુખ્યમંત્રી સાથે ઉજવશે. બીજી તરફ ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદ આવી રહયાં છે. નવા મુખ્યમંત્રી તરીકે અનેક નામો ચર્ચામાં છે. કોઇ કહે છે ગોરધન ઝડફીયા બનશે તો કોઇ કહે છે મનસુખ માંડવીયા.. નામ કોઇ પણ ચર્ચામાં હોય પણ મોદી અને શાહ છેલ્લી ઘડીએ નવાજુની કરવા માટે જાણીતા છે.
વાર : રવિવાર
શનિવારથી કમલમ ખાતે ભાજપના પ્રદેશ અને સ્થાનિક કક્ષાના નેતાઓ વચ્ચે બેઠકોનો દોર શરૂ થઇ ગયો છે. નવા મુખ્યમંત્રી નકકી કરવા ભાજપની બેઠકો ચાલી રહી છે. ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓના રાજીનામા બાદ નવા સીએમ અને નવી સરકારની રચનાની તૈયારીઓ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પૂરજોશમાં ચાલી રહી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, પાટીદાર મુખ્યમંત્રી સહિત બે નાયબ મુખ્યમંત્રીઓમાં એક ઓબીસી નાયબ મુખ્યમંત્રી પદ મહિલાને મળી શકે છે. જ્યારે રૂપાણી મંત્રીમંડળના 6 બિમાર અને નિષ્ફળ રહેલા મંત્રીઓને પડતા મુકી યુવા ધારાસભ્યોને તક આપવામાં આવી શકે છે.
ખાસ કરીને કોંગ્રેસમાંથી આવેલા અને બારોબાર મંત્રીપદ મેળવનારા કુવરજી બાવળીયા અને જવાહર ચાવડાનું પણ પત્તુ કપાઈ શકે છે. નવા સીએમ મંગળવારે શપથ લે તેવી શક્યતાઓ છે જ્યારે નાયબ મુખ્યમંત્રી અને મંત્રીમંડળની રચના એક અઠવાડિયામાં પૂર્ણ કરી નવી સરકાર કામ કરતી થશે. ગુજરાત ભાજપના પ્રમુખ પદે સીઆર પાટીલની નિમણૂંક થયા બાદ તેમણે કેટલાક આકરા નિર્ણયો લીધાં હતાં.જેના પરિણામ સ્વરૂપ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ભાજપનો ભગવો લહેરાયો હતો. સી.આર.પાટીલ, નિતિન પટેલ અને આર.સી.ફળદુ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં સામેલ થયાં છે. ગણતરીના કલાકોમાં ગુજરાતના નવા મુખ્યમંત્રીની જાહેરાત થશે. દર ઘડીએ નવા મુખ્યમંત્રીના નામો બદલાય રહયાં હોવાથી રાજકીય ઉત્તેજના પણ વધી રહી છે. સમગ્ર દેશ, વિશ્વ અને ગુજરાતની નજર ગુજરાતના નવા મુખ્યમંત્રી પર છે.