કચ્છ : નર્મદા મૈયાના જળથી ખેડૂતોની આર્થિક સમૃદ્ધિમાં થશે વધારો, વાંચો રાજ્યના મુખ્યમંત્રીએ કરેલી ઐતિહાસિક જાહેરાત
કચ્છ જિલ્લામાં નર્મદાનું વધારાનું 1 મિલીયન એકર ફિટ પાણી પહોચાડવા માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઐતિહાસિક જાહેરાત કરી છે, ત્યારે કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યુ હતું કે, આ નિર્ણયથી કચ્છના લોકોને ઘણો ફાયદો થશે.
નર્મદા નદીના પૂરના વધારાના પાણીમાંથી કચ્છને 1 મિલીયન એકર ફિટ પાણી આપવા રૂ. ૩૪૭પ કરોડના કામો હાથ ધરવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે, ત્યારે કચ્છના પ્રજાજનોની લાંબા ગાળાની લાગણી, અપેક્ષા અને આકાંક્ષા સંતોષવાનો પ્રજા કલ્યાણલક્ષી અભિગમ વિજય રૂપાણીએ અપનાવ્યો છે. તદઅનુસાર ફેઇઝ-1 હેઠળ 3475 કરોડ રૂપિયાના અંદાજિત કામો ત્વરાએ જળસંપત્તિ વિભાગને હાથ ધરવા મુખ્યમંત્રીએ સૂચના આપી છે. આ નિર્ણયથી કચ્છ જિલ્લાના રાપર, અંજાર, મુંદ્રા, માંડવી, ભૂજ અને નખત્રાણા એમ 6 તાલુકાના 96 ગામોની 2 લાખ 35 હજાર એકર જમીનને નર્મદાના પાણીની સુવિધા આ કામોના પરિણામે મળતી થશે. 6 તાલુકાઓની 3 લાખ 80 હજાર માનવવસ્તીને આ પાણીનો લાભ મળશે. આ યોજના અંતર્ગત કચ્છના સરણ જળાશય સહિત 38 જળાશયોમાં નમર્દાનું પાણી નાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છ પ્રદેશના ચેક ડેમ અને તળાવોમાં પણ આ પાણી નાખવાના આયોજનથી ભૂગર્ભ જળ રિચાર્જ થશે. નર્મદા મૈયાના જળથી કચ્છના ખેડૂતો મબલખ પાક ઉત્પાદન લઇ આર્થિક સમૃદ્ધિ મેળવી શકશે, તેમજ ઢોર-ઢાંખર માટે ઘાસચારાની સમસ્યા પણ હલ થશે. પાણીના અભાવે ઢોર-ઢાંખરનું થતું સ્થળાંતર અટકશે અને પશુઓને ઘાસચારો ઉપલબ્ધ થતાં દૂધ ઉત્પાદનમાં પણ વધારો થશે. આ નિર્ણય બદલ કચ્છની જનતાએ વડાપ્રધાન અને મુખ્યમંત્રીનો આભાર માન્યો છે.