પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ઘાંચીવાસમાં પાલિકાના કોન્ટ્રાક્ટર અને એન્જિનિયર દ્વારા માર્ગ પરથી વીજ થાંભલો હટાવ્યા વગર નવિન રોડ બનાવાની કામગીરી હાથ ધરાતા કામમાં ગંભીર બેદરકારી હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે.
પાટણ જિલ્લાના રાધનપુર નગરપાલિકાના નવી ડિઝાઈનવાળા વિકાસની ચર્ચાએ ભારે જોર પકડ્યું છે. રાધનપુરમાં પાલિકાના કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરની ગંભીર બેદરકારી સામે આવી છે. પાલિકા દ્વારા ઘાંચીવાસમાં ચાલી રહેલ રસ્તાના કામગીરીમાં માર્ગ પરથી વીજ થાંભલો હટાવ્યા વગર નવિન રોડ બનાવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે, રસ્તામાં એક નહીં પરંતુ રોડ વચ્ચે બબ્બે વીજ થાંભલા હોવા છતાં નવો રસ્તો બનાવી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ, માર્ગ કાર્યરત થયે જ સ્થાનિકોને ફોર વ્હીલર કાર તેમજ અવર જવર માટે મુશ્કેલીઓ પણ વધી શકે છે, ત્યારે નવો રસ્તો તો બની ગયો છે, પણ વીજ થાંભલો ક્યારે રોડ પરથી હટાવાશે તે સવાલ સ્થાનિકોને સતાવી રહ્યો છે. ભષ્ટ્રાચારી કોન્ટ્રાક્ટર દ્વારા વિજ થાંભલો હટાવ્યા વગર રોડની કામગીરી હાથ ધરાતાં જાગૃત નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. તો બીજી તરફ, રાધનપુર પાલિકાના એન્જિનિયરને એવોર્ડ એનાયત કરવો જોઈએ તેવો પણ લોકોએ કટાક્ષ કર્યો હતો.