સુરેન્દ્રનગરના વસ્તડી પાસેનો પુલ ધરાશાયી થતાં વાહનવ્યવહાર ઠપ્પ થતાં વિધાર્થીઓના શિક્ષણને પણ અસર પહોંચે તેવી શક્યતા છે. સુરેન્દ્રનગરના નેશનલ હાઇવેથી વસ્તડી ગામ તરફ જવાના મુખ્ય રસ્તા પર આવેલ સ્વામિનારાયણ સ્કુલમાં વસ્તડી, ચુડા અને આસપાસનાં ગામોના ૫૦૦થી વધુ વિધાર્થીઓ અભ્યાસ કરે છે ત્યારે વસ્તડી પુલ ધરાશાયી થતાં આ વિધાર્થીઓના અભ્યાસને પણ અસર પહોંચે તેવા એંધાણ વર્તાઇ રહ્યાં છે.
વસ્તડી ગામથી માત્ર બે કિલોમીટર દુર જ શાળા આવેલી છે પરંતુ શાળાએ જવા માટેના મુખ્ય રસ્તા પરનો પુલ જ ધરાશાયી થતાં વિધાર્થીઓને બે કિલોમીટર દુર શાળાએ જવા માટે ૧૫થી૨૦ કિલોમીટરનો ફેરો ફરીને જવાની નોબત આવી છે જેને લઇને શાળામાં પ્રથમ દિવસે તો ક્લાસરૂમ ખાલીખમ જોવા મળ્યા હતાં.
આ તરફના તમામ ગામોના અંદાજે ૫૦૦થી વધુ વિધાર્થીઓને આજે તેમના વાલીઓએ શાળાએ મોકલ્યા ન હતાં.શાળાની સ્કુલ બસ કે અન્ય ખાનગી વાહનોમાં પણ વિધાર્થીઓને શાળાએ આવવામાં હાલાકીનો સામનો કરવાની નોબત આવે તેમ છે ત્યારે શાળામાં રાબેતા મુજબ શિક્ષણ કાર્ય ક્યારે શરૂ થશે તે હજુ કાંઇ કહી શકાય તેમ નથી જેનાં કારણે આ વિસ્તારના ૫૦૦ થી વધુ વિધાર્થીઓના અભ્યાસને ગંભીર અસર પહોચવાની શક્યતા છે ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી ગ્રામજનોની અને શાળા સંચાલકોની માંગ છે.