વલસાડ : બાગાયતી પાકોમાં સ્વરોજગારલક્ષી કૌશલ્યવર્ધન અંગે નિવાસી તાલીમ યોજાય
તાલીમ અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ તથા તાલીમ પૂર્ણ થતાં તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.
સેન્ટર ઓફ એકસેલેન્સ ફોર ફલોરીકલ્ચર ઍન્ડ મેંગો, ચણવઈ, જિ.વલસાડ ખાતે છેલ્લા એક મહિનાથી ચાલતી બાગાયતી પાકોમાં સ્વરોજગારલક્ષી કૌશલ્ય વર્ધન નિવાસી તાલીમ અંતર્ગત નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલિત કોલેજ ઓફ એગ્રીકલ્ચર વઘઇના કુલ 2 બેચમાં 64 વિદ્યાર્થીઓની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ તથા તાલીમ પૂર્ણ થતાં તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.
આ તાલીમ અંતર્ગત એક માસના સમયગાળામાં વિદ્યાર્થીઓને વિવિધ ફૂલપાકોની ખેતી પધ્ધતિ, આંબાપાકો, મધમાખીપાલન, મશરૂમ ઉત્પાદન, ફૂલપાકોનું મૂલ્યવર્ધન, ફળપાકોનું મુલ્યવર્ધન, લેન્ડસ્કેપ ગાર્ડનિંગ, બોનસાઈ, નર્સરી મેનેજમેન્ટ, પ્લગ નર્સરી, ટેરેસ ગાર્ડન, કિચન ગાર્ડન, પાક સંરક્ષણ, તથા સજીવ ખેતી અંગેની તાલીમો આપવામાં આવી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે અનુભવ શિક્ષણ પ્રવાસનું આયોજન પણ કરાયું હતું. આ કાર્યક્રમમાં નાયબ બાગાયત નિયામક સી.જી.પટેલ તથા કેન્દ્રના પ્રોજેક્ટ ઓફિસર જે.સી.પટેલ, બાગાયત નિરીક્ષક બી.એચ.પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્ર ખાતે ચાલતી સ્વરોજગારલક્ષી કૌશલ્યવર્ધન નિવાસી તાલીમ તથા જમીન વિહોણા ખેત મજૂરોની બાગાયતી કૌશલ્ય વર્ધન અંગેની તાલીમમાં ભાગ લેવા માંગતા ખેડૂતો, યુવાઓ, મહિલાઓ, કૃષિ સંલગ્ન સંસ્થાના છાત્રો, જમીન વિહોણા ખેતમજૂરો કેન્દ્રનો સંપર્ક કરી ઉપરોક્ત તાલીમમાં ભાગ લઇ શકે છે.