15 ઓગસ્ટ પર ઓલિમ્પિક ખેલાડી હશે ખાસ મહેમાન; પીએમ મોદી કરશે લાલ કિલ્લા પર આમંત્રિત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આખા ભારતીય ઓલિમ્પિક દળને વિશેષ અતિથિના રૂપમાં લાલ કિલ્લા પર આમંત્રિત કરશે. ભારતીય ઓલિમ્પિક દળને પીએમ વિશેષ અતિથિ તરીકે નિમંત્રણ આપશે. પીએમ તે સમયની આસપાસ તે બધાને વ્યક્તિગત રૂપથી મળશે અને વાતચીત પણ કરશે. ભારતનું 228 સદસ્ય દળ ઓલિમ્પિકમાં ભાગ લઇ રહ્યું છે. જેમાં 119 ખેલાડી સામેલ છે. ભારતીય ઓલિમ્પિક દળમાં પીવી સિંધૂ, મનુ ભાકર, એમસી મેરિકોમ, મીરાબાઇ ચાનૂ, વિનેશ ફોગાટ સામેલ છે.
અગાઉ પીએમ મોદીએ ઓલિમ્પિકમાં રમી રહેલા ભારતીય ખેલાડીઓ માટે મહત્વનો સંદેશો આપ્યો હતો. પીએમે કહ્યું હતું કે ભારતીય ખેલાડીઓને આવો જોશ અને ઝનૂન ત્યારે આવે છે જ્યારે યોગ્ય ટેલેન્ટને પ્રોત્સાહન મળે છે. તેમણે કહ્યું કે આપણા ખેલાડી દરેક રમતમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યા છે. આ ઓલિમ્પિકમાં નવા ભારતનો બુલંદ આત્મવિશ્વાસ દરેક રમતમાં જોવા મળી રહ્યો છે. આપણા ખેલાડી પોતાનાથી શાનદાર ખેલાડીઓ અને ટીમોને પડકાર પડકાર આપી રહ્યા છે.
પીએમએ કહ્યું હતું કે ભારતીય ખેલાડીઓનો જોશ, ઝનૂન આજે સર્વોચ્ચ સ્તર પર છે. આ આત્મવિશ્વાસ ત્યારે આવે છે જ્યારે ટેલેન્ટની ઓળખ થાય છે, તેમને પ્રોત્સાહન મળે છે. આ આત્મવિશ્વાસ ત્યારે આવે છે જ્યારે વ્યવસ્થા બદલાય છે, પારદર્શી હોય છે. આ નવો આત્મવિશ્વાસ ન્યૂ ઇન્ડિયાની ઓળખ બની રહ્યો છે.
મહત્વનુ છે કે વેટલિફ્ટિંગમાં મીરાબાઇ ચાનૂએ સિલ્વર અને બેડમિન્ટનમાં પીવી સિંધૂ બ્રોન્ઝ મેડલ જીતી ચૂકી છે. હાલ બે મેડલ્સ સાથે ભારત મેડલ રેન્કિંગમાં 63માં સ્થાને છે. ટોક્યો ઓલિમ્પિકમાં મેન્સ હોકી ટીમના પરાજય પછી પીએમે કહ્યું હતું કે હાર અને જીત જીવનનો ભાગ છે. ભવિષ્ય માટે ટીમને શુભકામના પાઠવતા તેમણે કહ્યું કે ભારતીય ટીમે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.