સયાજીગંજ વિસ્તારમાં કલા, સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાની દ્રષ્ટિએ અત્યંત મુલ્યવાન એવી વિશ્વ પ્રસિધ્ધ 'કાલાઘોડા' પ્રતિમાની વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને યોગ્ય જાળવણી નહી કરતા પ્રતિમા પર લગાવવામા આવેલ કાળા રંગનું કોટિંગ ઉખડી ગયુ છે પરિણામે કાલાઘોડા પ્રતિમા હવે કદરૃપી પ્રતિમા દેખાઇ રહી છે.
૧૧૫ વર્ષ પહેલા સર સયાજીરાવ ગાયકવાડ (તૃતિય)ના રાજ્યભિષેકના સિલ્વર જ્યુબિલી સમારોહ વખતે સન ૧૯૦૭માં આ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી.મહારાજ સયાજીરાવ ઘોડા પર સવાર હોય એવી આ પ્રતિમાનો રંગ કાળો કેમ પસંદ કરાયો તે અંગે વડોદરાના હિસ્ટોરિયન ચંદ્રશેખર પાટીલ સાથે વાત કરતા તેઓએ કહ્યું હતું કે આ પ્રતિમા બ્રોન્ઝ ધાતુમાંથી તૈયાર કરવામાં આવી હતી. બ્રોન્ઝ ધાતુને સદીઓ સુધી કાટ ના લાગે તે માટે તેના પર 'પેનેટાઇઝેશન' નામની રસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન ગ્રીન, બ્રાઉન, અથવા તો બ્લેક રંગનું આવરણ ધારણ કરે છે તેમાંથી જે પસંદ હોય તે રંગ રાખી શકાય છે.
૧૧૫ વર્ષ પહેલા આ પ્રતિમાને યોગ્ય પેનેટાઇઝેશન કરીને સ્થાપિત કરવામાં આવી હતી.હવે તેનુ આવરણ ઉખડી રહ્યું છે. સામાન્ય રીતે આવરણ ઉખડવુ ના જોઇએ પરંતુ કોર્પોરેશનના કર્મચારીઓ પ્રતિમાને સફાઇ માટે કેમિકલનો ઉપયોગ કરે છે જેના પરિણામે આવુ થયુ છે. વડોદરામાં આ ઉપરાંત જ્યુબિલી બાગ પાસે ગાંધીજીની પ્રતિમા, સયાજીગંજથી જેલરોડ તરફના કોર્નર પર મહારાજા ફતેસિંહની પ્રતિમાં કમાટીબાગમાં આવેલ પ્રતિમાઓમાં પણ આ સ્થિતિ છે'. બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીનું કહેવું છે કે 'શહેરમાં આવેલી ધાતુની ઐતિહાસીક પ્રતિમાઓની સફાઇ માત્ર મિનરલ વોટરથી જ કરવામાં આવે છે કોઇ કેમિકલનો ઉપયોગ કરાતો નથી. પ્રતિમાઓ ૧૦૦ વર્ષથી વધુ જુની છે અને ખુલ્લામાં હોવાથી વાતાવરણ અને પ્રદૂષણની અસર થઇ છે એટલે આ પ્રતિમાઓની યોગ્ય જાણવણી માટે નિષ્ણાંત પુરા પાડવા સાંસ્કૃતિક મંત્રાલય પાસેથી મદદ માગી છે'