'સોરી…પપ્પા-મમ્મી મને માફ કરજો' લખીને ગુજરાતી ફિલ્મ ડિરેક્ટરનો આપઘાત !
વ્યાજખોરોના ત્રાસથી હિતેશે જીવાદોરી ટુંકાવી હોવાનું વરણામા પોલીસની તપાસમાં બહાર આવ્યું
ગુજરાતી ફિલ્મ 'સ્માઇલ કિલર'ના યુવા ડિરેક્ટર હિતેશ પરમારે વડોદરાનાં ધનીયાવી ખાતે ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં ચકચાર મચી છે. ધનીવાયીના જ વ્યાજખોરોના ત્રાસથી હિતેશે જીવાદોરી ટુંકાવી હોવાનું વરણામા પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. આપઘાત કરતાં પહેલાં તેણે અંતિમ ચીઠ્ઠી લખી હતી. જેમાં લખ્યું હતું કે, ''સોરી…પપ્પા અને મમ્મી મને માફ કરજો હું કંટાળી ગયો હતો, આ જીવનથી. પ્રિયંકા મને માફ કરજે, આમાં તારો કોઈ દોષ નથી. હું પોતે આ પગલું ઉઠાવું છું, મારી રાજી ખુશીથી.''
વડોદરા શહેર નજીક ધનીયાવી ગામમાં રહેતો હિતેશ મહેન્દ્રભાઈ પરમાર (ઉં. ૨૪) ગુજરાતી ફિલ્મ સ્માઇલ કિલરનો ડિરેક્ટર હતો. હિતેશે ગતવર્ષે જાન્યુઆરી મહિનામાં ગુજરાતી ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી. ચારેક મહિના અગાઉ જ હિતેશ પરમારે વડોદરાની યુવતી સાથે લગ્ન કર્યાં હતાં. યુવા ડિરેક્ટર હિતેશ પરમારે ગઈકાલે સાંજે પત્નીની સાળીનો ગાળીયો બનાવી ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.
આ સમગ્ર બનાવ અંગે હિતેશના પિતા મહેન્દ્ર પરમારે જિલ્લા પોલીસ કંટ્રોલને જાણ કરી હતી. કંટ્રોલની વર્ધીને આધારે વરણામા પોલીસ ઘટના સ્થળે ગઈ હતી. પોલીસને સ્થળ પર તપાસમાં એક પાનની સુસાઇડ નોટ મળી આવી હતી.
બનાવ અંગે તપાસ અધિકારી સલબિન્દરસિંઘે જણાવ્યું હતું કે, ધનીયાવીના ઉસ્માન નામના વ્યક્તિનું નામ સુસાઇડ નોટમાં લખેલું છે. નાણાંની ચુકવણી અંગે હિતેશે સુસાઇડ નોટમાં લખેલું છે. આર્થિક સંકળામણ અનુભવતા હિતેશે આ પગલું ભર્યુ છે. હિતેશ તેની પત્નીને વડોદરા ખાતે પિયરમાં મુકી આવ્યો હતો. ગઈકાલે સાંજે સાડા ચારથી પાંચ વાગ્યાના અરસામાં આ ઘટના બની હતી. પોર સરકારી હોસ્પિટલમાં હિતેશના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું. વરણામા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.