Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરના એશિયાડ નગર વિસ્તારમાં પાણીનો ભરાવો

અંકલેશ્વરના એશિયાડ નગર વિસ્તારમાં પાણીનો ભરાવો
X

અંકલેશ્વરમાં સતત વરસી રહેલા વરસાદ તથા આમલાખાડીના જળસ્તરમાં વધારો થતાં શુક્રવારની રાત્રે એશિયાડ નગર તથા આસપાસના વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો હતો. મકાનોના દરવાજા સુધી પાણી પહોંચી જતાં લોકોની દોડધામ વધી ગઇ હતી અને તેમણે ઘરવખરી સલામત રાખવાના પ્રયાસો શરૂ કરી દીધાં હતાં. પણ વરસાદ પણ વરસતો હોવાથી અનેક ઘરોમાં પાણી પ્રવેશી ગયાં હતાં.

ભરૂચ શહેર તથા જિલ્લામાં ત્રણ દિવસથી મેઘરાજાની મહેર થઇ રહી છે. શુક્રવારે સવારથી અંકલેશ્વરમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. બીજી તરફ આમલાખાડીના ઉપરવાસમાં વરસાદ હોવાથી ખાડીના જળસ્તરમાં વધારો થયો હતો. આવા સંજોગોમાં આમલાખાડીની નજીકમાં અંકલેશ્વર- હાંસોટ રોડ પર આવેલા એશિયાડ નગર વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો. એશિયાડ નગર બસ સ્ટેન્ડથી સોસાયટી તરફ જવાનો રસ્તો તથા સોસાયટીની વિવિધ ગલીઓમાં પાણી ભરાતા લોકોની ચિંતામાં વધારો થયો હતો. મકાનોના દરવાજા સુધી પાણી પહોંચી જતાં તેમણે મકાનોમાં પાણી પ્રવેશતું રોકવા માટે દોડધામ કરી મુકી હતી. વરસાદ પણ વરસતો હોવાથી અનેક ઘરોમાં પાણી પ્રવેશી ગયાં હતાં. સોસાયટીના રહીશો ઘરોની બહાર દોડી આવ્યાં હતાં. એશિયાડ નગર તથા જનકવાટીકા સહિતની સોસાયટીઓમાં દર ચોમાસામાં વરસાદી પાણીનો ભરાવો થતો રહે છે. આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા તંત્ર અસરકારક પગલા ભરે તેવી સ્થાનિક રહીશો માંગ કરી રહયાં છે.

Next Story