બનાસકાંઠા : નવા સરપંચ માટે પડકાર, પિરોજપુરામાં પીવાનું પાણી ન મળતા મહિલાઓએ કર્યો ગ્રામ પંચાયતનો ઘેરાવો

પિરોજપુરામાં પીવાનું પાણી ન મળતાં લોકોને હાલાકી, ગ્રામ પંચાયત કચેરીએ પાણી મુદ્દે મહિલાઓનો હોબાળો

Update: 2021-12-23 06:24 GMT

બનાસકાંઠા જિલ્લામાં ભર શિયાળે પાણી માટે લોકોને રઝળપાટ કરવી પડી રહી છે. પાલનપુર તાલુકાના પિરોજપુરા ગામમાં છેલ્લાં એક અઠવાડિયાથી પીવાનું પાણી નહીં મળતાં ગ્રામજનો પાણી વિના મુશ્કેલી વેઠી રહ્યાં છે. જોકે, અનેકવારની રજૂઆતો બાદ પણ પાણી નહીં મળતા આખરે મહિલાઓએ ગ્રામ પંચાયત કચેરીનો ઘેરાવો કરી ભારે હોબાળો મચાવ્યો હતો.

હાલમાં જ યોજાયેલી સરપંચની ચૂંટણી બાદ નવા સરપંચ સુકાન સંભાળે તે પહેલાં જ પાલનપુર તાલુકાના પુરોજપુરા ટાંકણી ગામમાં સૌથી મોટો પ્રશ્ન પીવાના પાણીનો સામે આવીને ઉભો છે. ગ્રામ પંચાયતની અનઘડત આવડતના કારણે ગામમાં પૂરતા પ્રમાણમાં લોકોને પાણી પણ નથી મળી રહ્યું. જેથી ગામની મહિલાઓ ત્રાહિમામ પોકારી ઉઠી છે. જોકે, પાણીની સમસ્યા મુદ્દે ગ્રામ પંચાયતને અનેકવાર રજૂઆત કરવા છતાં ગ્રામ પંચાયતના સત્તાધીશો કુંભકર્ણની જેમ ઘોર નિંદ્રામાં પોઢી રહ્યા છે, ત્યારે મહિલા સહિતના ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થઇ ગ્રામ પંચાયત કચેરીનો ઘેરાવ કરતા ગ્રામ પંચાયતના તલાટી તેમજ સરપંચની મનમાની સામે આવી હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

પુરોજપુરા ગામની મહિલાઓએ જણાવ્યું હતું કે, સમગ્ર ગામમાં છેલ્લા એક અઠવાડીયાથી પીવાના પાણીની જરૂરિયાત ઊભી થાય છે. પુરતા પ્રમાણમાં પાણી ન મળતા અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ બાબતે ગ્રામ પંચાયતમાં અનેકવાર રજૂઆત કરવા છતાં ગ્રામ પંચાયતના સત્તાધીશો પોતાની મનમાની કરી રહ્યા છે. જેથી આવા સરકારી કર્મચારીઓ તેમજ સરપંચો સામે કડક કાર્યવાહી થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે. સત્વરે બનાસકાંઠા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ગામ લોકોને પાણીની સગવડ પૂરી પાડવા નવા સરપંચ માટે પડકાર સાબિત થશે તેમ છે.

Tags:    

Similar News