ભરૂચ : ઝઘડીયા તાલુકાના ખેડૂતોનો વિરોધ, જુઓ સરકારની રૂ. 3700 કરોડની જાહેરાત અંગે શું કહ્યું..!
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં રૂપિયા 3700 કરોડના સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ખેડૂતોએ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી રૂપિયા 10 હજારની સહાયનો વિરોધ નોંધાવ્યો હતો.
રાજ્યભરમાં વરસેલા ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને મોટું નુકશાન થયું છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે રૂપિયા 3700 કરોડના સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ખેડૂતોએ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી રૂપિયા 10 હજારની સહાયનો વિરોધ નોંધાવ્યો હતો. ઉપરાંત રાજ્ય સરકાર માત્ર જાહેરાત કરતી હોવાનો પણ ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો.
છેલ્લા 6 મહિનાથી લોકડાઉન કારણે તમામ લોકોની હાલત કફોડી બની છે, તો બીજી તરફ ધોધમાર વરસાદ અને નર્મદા નદીમાં આવેલા પુરના કારણે ભરૂચ જિલ્લાના ખેડૂતોએ કરેલ શાકભાજી, શેરડી અને કેળનું વાવેતર નાશ થવા પામ્યું છે, ત્યારે હવે જે ખેડૂતોને ખેતીમાં સૌથી વધુ નુકશાન થવા પામ્યું છે, તેનો યોગ્ય રીતે સર્વે કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.