ભરૂચ : કુકરવાડા ખાતે નર્મદામાં ડુબી જતા વેજલપુરના યુવાનનું મોત
નાવડીમાંથી ઉતરતી વેળા તેનો પગ વાંસમાં આવી જતાં તે નદીમાં પડી ગયો હતો. અક્ષયને તરતા આવડતું ન હોવાથી તે નદીના પાણીમાં ગરકાવ થઇ ગયો
ભરૂચના કુકરવાડા નજીકથી પસાર થતી નર્મદા નદીમાં ડુબી જવાથી યુવાનનું મૃત્યુ થયું છે. મૃતક યુવાન વેજલપુર વિસ્તારમાં રહેતો હતો અને શુકલતીર્થથી દર્શન કરી નાવડીમાં બેસી કુકરવાડા આવ્યો હતો. ભરૂચના વેજપુર ખાતે નિઝામવાડીમાં પરિવાર સાથે રહેતા અને શીવા ફાર્મા કંપનીમાં નોકરી કરતા અક્ષય રમેશ મિસ્ત્રી ગત તા. ૧૭મીએ મિત્રો સાથે શુકલતીર્થ ખાતે પુનમના મેળામાં ગયાં હતાં. શુકલતીર્થમાં દર વર્ષે કારતકી પુર્ણિમાના દિવસે મેળો ભરાતો હોય છે આ વર્ષે મેળો ભરાયો ન હતો પણ મોટી સંખ્યામાં લોકો શુકલેશ્વર મહાદેવના દર્શન માટે આવ્યાં હતાં. અક્ષય તથા અન્ય શ્રધ્ધાળુઓ શુકલતીર્થથી નાવડીમાં બેસી પરત કુકરવાડા આવ્યો હતો. નાવડીમાંથી ઉતરતી વેળા તેનો પગ વાંસમાં આવી જતાં તે નદીમાં પડી ગયો હતો. અક્ષયને તરતા આવડતું ન હોવાથી તે નદીના પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. તેના મૃતદેહને ભારે જહેમત બાદ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. અક્ષયના મૃત્યુના પગલે વેજલપુર વિસ્તારમાં શોકનો માહોલ જોવા મળી રહયો છે.