સ્વામિનારાયણ મંદિર, ભુજ દ્વારા આયોજિત શ્રી નરનારાયણ દ્વિ-શતાબ્દી મહોત્સવ નિમિત્તે આજરોજ ‘બદ્રિકાશ્રમ’ ભુજ ખાતે પધારેલા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કચ્છના વિકાસ તથા સામાજીક વિકાસમાં ભુજ સ્વામિનારાયણ મંદિરે આપેલા યોગદાનને બિરદાવીને આ વિકાસયાત્રામાં સહયોગ આપવા રાજય સરકાર હંમેશા આપની પડખે હોવાનો કોલ આપ્યો હતો. સ્વામિનારાયણ મંદિર, ભુજ દ્વારા સરહદી કચ્છમાં શ્રી નરનારાયણ દ્વિ-શતાબ્દી મહોત્સવના આયોજનને મેનેજમેન્ટની દષ્ટિએ અદભુત ગણાવીને અભિનંદન આપતાં ગૃહમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ભુજ જેવા નાના નગરમાં લાખો ભાવિકોના આગમન છતાં કયાં પણ અવ્યવસ્થા કે અશિસ્તતા જોવા મળતી નથી. આ મહોત્સવ મેનેજમેન્ટ તથા રિસર્ચનો વિષય બની શકે છે.
આ પ્રસંગે આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ તથા મહંત શ્રી ધર્મનંદનદાસજી, જાદવજી ભગતજી, ઉપ મહંત ભગવતજીવનદાસજીએ ગુહમંત્રીનું પ્રતિક ચિન્હ તથા પ્રશિસ્તપત્ર આપીને અભિવાદન કર્યું હતું. ભુજના ધારાસભ્ય કેશુભાઇ પટેલ, રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી,અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, આઇ.જી, બોર્ડર રેન્જ જે.આર.મોથાલીયા, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ તથા સ્વામિનારાયણ મંદિરના સર્વે ટ્રસ્ટી તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સહભાગી થયા હતા.