જામનગર : પવનચક્કી વિસ્તારમાં યોજાયો વેક્સીનેશન કેમ્પ, લોકોમાં ઉત્સાહ

જામનગર શહેરના પવનચક્કી ન્યુ જેલ રોડ, રાજપુતપરા ગરબી ચોક ખાતે રાજપુત યુવા સંગઠન દ્વારા જામનગર મહાનગરપાલિકાના સહયોગથી કોરોના પ્રતિરોધક રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ઉપસ્થિત રહી વેક્સીન લેનારા સર્વે નાગરીકોને પ્રોત્સાહન પુરૂ પાડયું હતુ.
આ કેમ્પમાં ૧૮થી ૪૪ વર્ષના યુવાઓ તથા વિસ્તારના વડીલોએ રસી લઈ રસીકરણ અભિયાનમાં પોતાનો સહયોગ આપ્યો હતો. જામનગર શહેરના નાગરિકો વધુમાં વધુ પ્રમાણમાં કોરોના પ્રતિરોધક રસી લઇ સુરક્ષિત બને તે માટે રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ લોકોને અપીલ કરી હતી, તેમજ જનહિતમાં યોજવામાં આવેલ રસીકરણના આવા સુંદર આયોજન બદલ વિસ્તારના આગેવાનોને અભિનંદન પાઠવ્યા હતા. વેક્સીનેશન અંગે નાગરીકોમાં પણ વિશેષ જાગૃતિ જોવા મળી હતી. વહેલી સવારથી જ લોકો વેકસીન લેવા બહોળી સંખ્યામાં રસીકરણ કેન્દ્ર ખાતે આવી પહોચ્યા હતા અને વેક્સીન લઈ પોતાને તેમજ પરિવારને કોરોના સામે રક્ષીત કર્યા હતા.
આ કેમ્પમાં સ્ટેન્ડીગ કમીટીના ચેરમેન શ્રી મનીષભાઈ કટારીયા, શહેર અધ્યક્ષ શ્રી વિમલભાઈ કગથરા, કોર્પોરેટર સર્વ હર્ષા જાડેજા, શારદા વિંજુડા તેમજ દિલીપસિંહ જેઠવા, રાજેન્દ્રસિંહ રાઠોડ, અર્જુનસિંહ રાઠોડ, ધર્મેશસિંહ ચાવડા, અનિરુધ્ધસિંહ રાઠોડ, અજીતસિંહ રાઠોડ, ભગીરથસિંહ ચૌહાણ, વિજયસિંહ, નરેન્દ્રસિંહ, કમલજીતસિંહ, ચંદ્રસિંહ, યુવરાજસિંહ, ભવ્યરાજસિંહ, સુરેન્દ્રસિંહ સહિતના સામાજીક આગેવાનો તથા વેકશીન લેનાર ઉત્સાહી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.