નવસારી : સાગરખેડુઓએ કરી “દરિયાદેવ”ની પુજા, વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ છે જીવિત
નવસારી અને વલસાડ જિલ્લાના 1200થી વધુ ફિશિંગ બોટ ધરાવતા માછીમારોએ પેટની રક્ષા કરતાં દરિયાની રક્ષાબંધનના દિવસે પુજા કરી હતી. વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ છે જીવિત, જાણો સમગ્ર વિગત આ અહેવાલમાં...
નવસારી જિલ્લાનો 52 કિલોમીટરનો દરિયા કિનારો માછીમારો માટે રોજગારીનું સાધન બની ગયો છે. નારિયેળીપૂનમના દિવસે સાગરખેડુઓ દરિયા દેવની પૂજા કરી દરિયામાં સુરક્ષા માટે પ્રાર્થના કરે છે. આજના અનમોલ દિવસે માછીમારો ઘંઘાની વિધિવત શરૂઆત કરે છે. નવસારી અને વલસાડ જિલ્લાની 1200થી વધુ ફિશિંગ બોટ ધરાવતા માછીમારોએ રક્ષાબંધનના દિવસે દરિયાની પુજા કરવાની પરંપરા જાળવી રાખી છે. દક્ષિણ ગુજરાતના માછીમારો માટે ધોલાઈ બંદર આર્શિવાદ રૂપ છે. ઘોલાઈ બંદરથી 1200 થી વધુ બોટ દરિયામાં માછીમારી કરવા જાય છે. અને દક્ષિણ ગુજરાતના 25 હજાર લોકોને રોજગારી આપે છે. સમયની સાથે રાજય સરકાર પણ મદદરૂપ થાય છે. જેને લીધે માછીમારો માછલી પકડવામાં માટે આધુનિક સાધનો ઉપયોગ કરતા થયા છે. અને માછીમારીના ઘંઘા થકી રોજગાર આપી કમાણી કરતા થયા છે. ત્યારે આજે માછીમારી કરવા જતાં માછીમારોના પરિવારો દ્વારા કળશ યાત્રા સાથે દરિયાદેવની ખાસ પૂજા કરવામાં આવી હતી. દરિયો આજના દિવસથી પોતાનું બળ ઓછું કરે છે જેથી આજના તહેવારને બળેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. 9 મહિના દરિયો માછીમારોને સાચવે અને ધંધો રોજગારી સારા પ્રમાણમાં આપે એ માટે ભવ્ય પૂજન કરવામાં આવે છે. માછીમારો માટે આજનો દિવસ એટલે ઉત્સાહ અને ઉમંગનો દિવસ બની રહે છે