Connect Gujarat
ગુજરાત

ભરૂચ ખાતે મેઘરાજાની મુર્તિની સ્થાપના કરાઇ

ભરૂચ ખાતે મેઘરાજાની મુર્તિની સ્થાપના કરાઇ
X

ભરૂચ ખાતે ભોઇ સમાજ દ્વારા છપ્પનીયા દુકાળથી ચાલતી પરંપરા યથાવત રાખી મેઘરાજાના ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.પ્રતિવર્ષની જેમ ભોઇ સમાજ દ્વારા આ વર્ષે પણ મેઘરાજાના ઉત્સવની ઉજવણીની તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.દિવાસાના દિવસે ભોઇ સમાજ શ્રદ્ધા પુર્વક માં નર્મદાના કિનારેથી માટી લાવી કોઇ પણ બીબા વગર હાથથી મેઘરાજાની મુર્તિનું સ્થાપન કરી તેને શણગાર કરવામાં આવે છે.

ભરૂચમાં વસતા ભોઇ સમાજ દ્વારા છપ્પનીયા દુકાળ દરમિયાન મેઘરાજાને રીઝવવા માટે માટીમાંથી પ્રતિમા બનાવી તેનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.મેઘરાજાની મુર્તિનું ૧૦ દિવસના આતિથ્યબાદ નર્મદામાં વિસર્જન કરવામાં આવ્યું હતું અને ત્યારે જ મેઘરાજા બારેમેઘ ખાંગા કરી મન મુકીને વરસ્યા હતા.ત્યારથી ભારતભરમાં માત્ર ભરૂચ શહેરમાં ભોઇસમાજ દ્વારા આ પરંપરા યથાવત રાખવામાં આવી છે.

આસ્થાના પ્રતિક સમા મેઘરાજાની મુર્તિ પ્રતિવર્ષ ભોઇ સમાજના અલગ-અલગ કારીગરો હાથ વડે ઘડે છે.તેની ખાશીયત એ છે કે કોઇ પણ બીબા વગર બનાવાતી મેઘરાજાની આ પ્રતિમાનું મુખારવિંદ દર વખતે એક સરખું જ હોય છે.અષાઢિ ચૌદસના દિવસે મોડી રાતે ભોઇ સમાજ દ્વારા નર્મદાની માટી લાવી પ્રતિમા બનાવવાનો આરંભ કરવામાં આવે છે જે દિવાસાની વહેલી સવારે પુર્ણ કરાય છે.

મેઘરાજાની વિધિવત સ્થાપના બાદ તેને રંગરોગાન કરી વાઘા પહેરાવી સુશોભીત કરવામાં આવે છે.ભોઇ સમાજ દ્વારા મેઘરાજાના ઉત્સવની તાડામાર તૈયારીઓ આરંભાઇ છે.૧૦ દિવસ ચાલનારા આ મેઘોત્સવને માણવા ભારતભરમાંથી લોકો ઉમટે છે અને મેઘરાજાના દર્શન કરી ઘન્યતા અનુભવે છે.

Next Story