વલસાડ : રાજ્ય સરકારના સુશાસનના 5 વર્ષની ઉજવણીના ભાગરૂપે સંવેદના દિવસ મનાવાયો
ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારના થયેલા વિકાસના કામોની જાણકારી રાજયની પ્રજાને થાય તે હેતુથી તા. ૦૧ લી આગસ્ટથી તા. ૦૯ મી ઓગસ્ટ સુધી રાજય સરકાર દ્વારા સુશાસનના પાંચ વર્ષની ઉજવણી કરાઇ રહી છે. જેના ભાગરૂપે આજના દ્વિતીય દિવસે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીના જન્મદિને રાજકોટ ખાતેથી મુખ્યમંત્રીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રી બાળ સહાય યોજના, વિધવા સહાય અને વૃધ્ધ સહાયના લાભાર્થીઓને સહાયના વિતરણનો વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયો હતો.
રાજ્યના મુખ્યમંત્રી દ્વારા યોજાયેલા આ કાર્યક્રમ અંતર્ગત વલસાડ જિલ્લામાં રાજયના મહિલા આયોગના ચેરમેન શ્રીમતી લીલાબેન અંકોલિયાએ મુખ્યમંત્રી બાળસહાય યોજનાના ૦૫ લાભાર્થી, વિધવા સહાય અને વૃધ્ધ સહાયના ૧૦ લાભાર્થીઓ સાથે ૧૫ લાભાર્થીઓને ટોકનરૂપે સહાયના પ્રમાણપત્રો વિતરણ કર્યા હતા. આ અવસરે ચેરમેનએ રાજય સરકારના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલના નેતૃત્ત્વમાં પાંચ વર્ષમાં રાજયનો તમામ ક્ષેત્રે થયેલો વિકાસની માહિતી આપતાં જણાવ્યું હતું કે, કોરોના જેવી મહામારી સમયે પણ રાજય સરકારે વિકાસનું કામ અટકવા દીધું નથી.
કોરોનાની વિશ્વવ્યાપી મહામારીમાં પણ રાજયના મુખ્યમંત્રીએ ત્વરિત નિર્ણયો લઇને કોરોનાના દર્દીઓ માટે હોસ્પિટલમાં જરૂરી બેડ અને આનુષંગિક વ્યવસ્થાઓ ઊભી કરી હતી. તેમજ ઓકિસજનની જરૂરતવાળા દર્દીઓ માટે ઓકિસજનની વ્યવસ્થા કરી હતી. કોરોનામાં જે સંતાનોના વાલીઓ મૃત્યુ પામ્યા હતા તેવા નિરાધાર બાળકોના વાલીને માસિક રૂા.૪૦૦૦/-નીસહાય લાભાર્થીના બેંક ખાતામાં જમા કરાવી રાજયના મુખ્યમંત્રીએ તેમની સંવેદનાનો પરિચય આપ્યો હતો. એવા જ રીતે ગંગાસ્વરૂપ બહનો માટે તેણી પુનઃ લગ્ન કરે તો રાજય સરકાર દ્વારા રૂા. ૨૫ હજારની એફ. ડી. અને રૂા. ૨૫ હજાર તેણીના બેંક એકાઉન્ટમાં જમા કરી કુલ રૂા. ૫૦ હજારની સહાય કરી છે.
કોરોના હજુ ગયો નથી જેથી સોશીયલ ડિસ્ટન્સ અને કોરોનાની એસ.ઓ.પી. પાલન કરી કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં બાળકોનું જરૂરી ઘ્યાન રાખવા જણાવ્યું હતું. રાજય સરકાર મહિલાઓની સુરક્ષા માટે કટિબધ્ધ છે જેથી મહિલાઓ માટે નારી અદાલતો, મહિલાઓ માટે ૧૮૧ હેલ્પલાઇન જેવી યોજનાઓ શરૂ કરી છે. દરેક મહિલાઓને સક્ષમ બની પોતાની પ્રગતિ સાધવા માટે શ્રીમતી લીલાબેને આ સમારોહમાં ઉપસ્થિત મહિલાઓને જણાવ્યું હતું. આ પ્રસંગે શ્રીમતી લીલાબેને રાજય સરકાર દ્વારા પ્રજા તમારે દ્વાર અંતર્ગત સેવાસેતુના માધ્યમથી વ્યકિતઓને તેમના સાત બારના નમૂના, આવક/જાતિના દાખલા, રેશનકાર્ડ, આધારકાર્ડ વગેરે સેવાઓનો લાભ લેવા માટે જણાવ્યું હતું.