Connect Gujarat
આરોગ્ય 

"માનસિક તણાવ" : સ્ટ્રેસના કારણે યુવાઓમાં પણ વધ્યું છે હાર્ટએટેકનું પ્રમાણ..!

માનસિક તણાવ : સ્ટ્રેસના કારણે યુવાઓમાં પણ વધ્યું છે હાર્ટએટેકનું પ્રમાણ..!
X

બિગ બોસ ફેઇમ સિધ્ધાર્થ શુક્લાનું 40 વર્ષની વયે હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. પરંતુ, ચોંકાવનારી વાત તો એ છે કે, પહેલાં 50 વર્ષની વયજૂથના લોકોમાં હાર્ટ એટેક જોવા મળતો હતો. પરંતુ, ફાસ્ટ લાઇફ સ્ટાઇલ અને સ્ટ્રેસના કારણે છેલ્લાં દશકાથી 20થી 40 વર્ષની વયજૂથના લોકોમાં પણ હવે હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે.

સ્ટ્રેસ કે, તણાવ એટલે કટોકટીની ઘડીનો સામનો કરવા તમારા શરીરમાં થનાર પ્રતિક્રિયા. એવા સમયે તમારું મગજ સંકેત આપે છે. એટલે અમુક રસાયણોનો (હોર્મોન્સનો) પ્રવાહ શરીરમાં વધે છે. એ રસાયણોને લીધે હૃદયના ધબકારા પણ વધે છે. જરૂર પ્રમાણે લોહીનું દબાણ (બ્લડપ્રેશર) વધે છે. શ્વાસ લેવા-છોડવાની પ્રક્રિયા ઝડપી બને છે, અને સ્નાયુઓ સચેત થાય છે. શું બની રહ્યું છે એની તમને જાણ થાય એ પહેલાં તમારું શરીર પગલું ભરવા તૈયાર હોય છે.

કટોકટીની એ ઘડી જતી રહે ત્યારે આપો આપ તમારું શરીર સામાન્ય સ્થિતિમાં આવી જાય છે. વર્ષ 1980થી 90ના ગાળામાં 55થી 60 વર્ષે દર્દીમાં હાર્ટ એટેક આવતો હતો, ત્યારે હવે છેલ્લાં 10 વર્ષમાં 30થી 35 વર્ષના યુવાનોમાં પણ હાર્ટ એટેક આવે છે. છેલ્લાં 3-4 વર્ષમાં 30થી 40 વયજૂથમાં 20 ટકા અને 20થી 30 વયજૂથમાં 10 ટકા જેટલું હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું હોવાનું સામે આવ્યું છે. જેનું મુખ્ય કારણ ફાસ્ટ લાઇફ સ્ટાઇલ અને સ્ટ્રેસ છે. હાલના સમયમાં તમામ વર્ગના લોકોની લાઇફ સ્ટાઇલ ફાસ્ટ બની છે, તેમજ પ્રેશર ઓફ પર્ફોર્મન્સને લીધે બધાં જ પ્રેશરમાં જીવી રહ્યાં છે.

અપુરતી ઉંઘ, કોમ્પિટીશન, ખોરાકની અનિયમિતતા, ધુમ્રપાન અને આલ્કોહોલનું વધુ સેવનને કારણે પણ હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે. 35થી 40 વર્ષે યુવાનને છાતીમાં દુ:ખાવો થાય તો અવગણી શકાય નહીં, જેથી હૃદયની તમામ તપાસ કરવી હાલના સમયમાં જરૂરી બન્યું છે.

Next Story