Connect Gujarat
ગુજરાત

જેતપુરઃ પાક વીમા મુદ્દે મંત્રી રાદડિયાનું બેંકમાં હલ્લાબોલ, બેન્ક અધિકારીઓનો લીધો ઉધડો

જેતપુરઃ પાક વીમા મુદ્દે મંત્રી રાદડિયાનું બેંકમાં હલ્લાબોલ, બેન્ક અધિકારીઓનો લીધો ઉધડો
X

મંત્રી રાદડિયાએ ખેડૂતોના હક્કના 1.75 કરોડ રૂપિયા નહીં મળે તો બ્રાન્ચ બંધ કરાવવા આપી ચીમકી

જેતપુરમાં ખેડૂતોને પાક વીમો ન ચૂકવાતા કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં પહોંચી જઈ હલ્લાબોલ કર્યો હતો. અને બેન્કનાં અધિકારીઓનો ઉધડો લીધો હતો. સાથે જો સમયસર ખેડૂતોને પાક વીમો ચૂકવવામાં નહીં આવે તો બ્રાન્ચ બંધ કરાવી દેવાની પણ ચીમકી આપી છે. ઉલ્લેખનીય છે કે, અન્ન અને નાગરિક પૂરવઠા પ્રધાન જયેશ રાદડિયા રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેંકના ચેરમેન છે.

જેતપુરની સ્ટેટ બેંક દ્વારા 150 ખેડૂતોના મગફળીના પાક વીમાના અંદાજે રૂ.1.75 કરોડ જેટલી રકમ ચૂકવવામાં ન આવતા રાદડિયા ગુસ્સે થયા હતા. આ મામલે મંત્રી જયેશ રાદડિયાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, જેતપુર વિસ્તારના ખેડૂતોએ ગયા વર્ષનો મગફળીનો પાક વીમો લીધો હતો. જેનું સમયસર પ્રિમિયમ પણ ભરી દીધું હતું. બેંકે અંદાજે 150 જેટલા ખેડૂતોનો મંજૂર થયેલો 1.75 કરોડના વીમાનું ચૂકવણું કરવાનું હતું. બેંક દ્વારા જે કંઈ ભૂલ થઈ હશે, તેણે વીમા કંપનીને સમયસર પ્રિમિયમ આપ્યું નહોતું. આ પ્રિમિયમ પરત આવ્યું હતું, એટલે આ ખેડૂતો 11 મહિનાથી વીમાથી વંચિત હતા.

રાદડિયાએ આગળ કહ્યું કે, બેંકને અવાર નવાર રજૂઆત કરી હતી, આ ખેડૂતોના હક્કના પૈસા છે જે તેને મળવા જોઈએ. ત્રણ મહિના પહેલા પણ મેં બેંકને ખેડૂતોના પૈસા ચૂકવવા માટે રજૂઆત કરી હતી. આમ છતાં કોઈ જવાબ ન આપતા આજે બેંકને તાળાબંધી કરવાની ફરજ પડી હતી.

Next Story