“શ્રીજીને વિદાય” : ભરૂચ અને અંકલેશ્વરમાં વિના વિધ્ને વિધ્નહર્તાનું વિસર્જન

New Update
“શ્રીજીને વિદાય” : ભરૂચ અને અંકલેશ્વરમાં વિના વિધ્ને વિધ્નહર્તાનું વિસર્જન

ભરૂચ અને અંકલેશ્વરમાં ગુરૂવારના રોજ વિના વિધ્ને ગણેશ વિસર્જન સંપન્ન થયું હતું. નર્મદા નદીમાં પુર આવ્યું હોવાથી સઘન પોલીસ બંદોબસ્ત વચ્ચે પ્રતિમાઓને વિસર્જીત કરવામાં આવી હતી. પર્યાવરણના જતનના સંકલ્પ સાથે શ્રધ્ધાળુઓએ કૃત્રિમ કુંડોમાં પણ પ્રતિમાઓના વિસર્જનનો અભિગમ દાખવ્યો હતો.

૧૦ દિવસથી ચાલી રહેલા ગણેશ મહોત્સવનું ગુરૂવારે રંગેચંગે સમાપન થયું હતું. ભરૂચ શહેરની વાત કરવામાં આવે તો પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાઓનું ઝડેશ્વર સ્થિત સાઈ મંદિર નજીકના જળકુંડમાં જ્યારે માટી અને ઈકોફ્રેન્ડલી પ્રતિમાઓનું નિલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે નર્મદા નદીના ઓવારે વિસર્જન કરવામાં આવ્યું હતું.

વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ભરુચ તથા અંકલેશ્વરમાં શ્રીજીની સવારીઓ નીકળી હતી. પુષ્પોની વર્ષા અને ડીજેના તાલ સાથે અબાલ વૃધ્ધ સૌ કોઇ મન મુકીને ઝૂમ્યાં હતાં. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. દુંદાળાદેવની નગરચર્યા દરમિયાન વાતાવરણ ભકિત સભર બની ગયું હતું. જોકે આ વર્ષે નર્મદા નદીમાં પુર આવ્યું હોવાથી ગણેશ વિસર્જન દરમિયાન ઓવારાઓ ખાતે ચાંપતો પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો. અંકલેશ્વરમાં સ્થાપિત ગણેશ પ્રતિમાઓનું રામકુંડ, ગોલ્ડન બ્રિજના દક્ષિણ છેડા તથા કૃત્રિમ કુંડમાં વિસર્જન કરાયું હતું. પ્લાસટર ઓફ પેરિસથી પર્યાવરણને થતું નુકશાન રોકવા માટે શ્રધ્ધાળુઓએ કૃત્રિમ કુંડમાં પ્રતિમાઓ વિસર્જીત કરવાનો અભિગમ અપનાવ્યો હતો. ભરૂચની ગણેશજીની વિશાળકાય પ્રતિમાઓનું ભાડભુત ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું. ભરૂચ અને અંકલેશ્વરમાં વિધ્નહર્તાની વિના વિધ્ને વિદાય થતાં લોકો અને તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

Read the Next Article

અંકલેશ્વર: વાલિયા ચાર રસ્તા પર 2 બાઈક સામ સામે ભટકાય, પત્નિનું મોત-પતિ સહિત 2 લોકોને ઇજા

ભરૂચના વાલિયા ગામના ચાર રસ્તા પાસે બે બાઇક સામસામે ભટકાતા એક યુવતીનું ગંભીર ઇજાઓને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.જ્યારે પતિ સહિત બે વ્યક્તિને ઇજા પહોંચી હતી.

New Update
  • ભરૂચના વાલિયામાં સર્જાયો અકસ્માત

  • વાલિયા ચાર રસ્તા પર અકસ્માત સર્જાયો

  • 2 બાઈક સામસામે ભટકાય

  • બાઈક સવાર પત્નીનું મોત

  • પતિ સહિત 2 લોકોને પહોંચી ઇજા

ભરૂચના વાલિયા ગામના ચાર રસ્તા પાસે બે બાઇક સામસામે ભટકાતા એક યુવતીનું ગંભીર ઇજાઓને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.જ્યારે પતિ સહિત બે વ્યક્તિને ઇજા પહોંચી હતી.
સાગબારાના જાવલી ગામના અને હાલ ભરૂચના વાલિયા ગામની સિલુડી ચોકડી પાસે બ્લોક બનાવતી ફેક્ટરીમાં રહેતી 30 વર્ષીય શર્મિલા વસાવા પોતાના પતિ વિશાલ વસાવા સાથે બાઈક  વતનમાં જવા માટે નીકળ્યા હતા તે દરમિયાન વાલિયા ગામના ચાર રસ્તા પાસે સામેથી પૂરપાટ ઝડપે આવતી ભિલોડ ગામના રોશન રવજી વસાવાની બાઈક ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે દંપતી સહિત ત્રણેય ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે વાલિયાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ટૂંકી સારવાર દરમિયાન શર્મિલાબહેનનું કરુણ મોત નીપજ્યું હતું.જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત રોશન વસાવાને વધુ સારવાર માટે અંકલેશ્વરના ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.અકસ્માત અંગે વાલિયા પોલીસે તપાસ હાથ ધરી છે.