ભરૂચ: કાનમ પ્રદેશના કપાસ પર રસાયણ હુમલો ? હજારો હેક્ટર જમીનમાં કપાસના પાકને ગંભીર અસર

કોટન કિંગ ગણાતા ભરૂચમાં કપાસના પાકને વ્યાપક અસર, રસાયણ હુમલાના કારણે કપાસ સહિતના પાકની વૃધ્ધિ અટકી.

New Update
ભરૂચ: કાનમ પ્રદેશના કપાસ પર રસાયણ હુમલો ? હજારો હેક્ટર જમીનમાં કપાસના પાકને ગંભીર અસર

કોટન કિંગ ગણાતા ભરૂચના પાક પર જાણે રસાયણ હુમલો થયો છે. હજારો હેક્ટર જમીનમાં ઊભા પાક પર અદ્રશ્ય કેમિકલની અસર થતા પાકની વૃધ્ધિ અટકી પડી છે જેના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ભરૂચ જિલ્લો આમેય પ્રાણઘાતક પર્યાવરણીય પ્રદૂષણનો સામનો કરી રહ્યો છે. ઓદ્યૌગિકરણના કારણે જળ જમીન અને વાયુ પ્રદૂષણ જાણે બેકાબૂ બની રહ્યું છે..હવે ઓદ્યૌગિકરણની અસર ખેતીના ક્ષેત્ર પર વર્તાય રહી છે. ભરૂચ જિલ્લાને કોટન કિંગ માનવામાં આવે છે કારણે અહી મોટા પ્રમાણમાં કપાસનું ઉત્પાદન થાય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી કપાસના પાક પર રસાયણ હુમલો થઈ રહ્યો હોવાનું લાગી રહ્યું છે. ભરૂચના વાગરા,આમોદ,જંબુસર અને ભરૂચ તાલુકાના કેટલાક ગામોમાં વાવેલ કપાસના પાકની જાણે વૃધ્ધિ જ અટકી પડી છે. કપાસના છોડ જે ગતિએ ઉછરવા જોઈએ એ ઉછરતા નથી અને પાંદડા પણ વળી જાય છે જેની સીધી અસર ઉત્પાદન પર થઈ રહી છે.

આ અંગે ખેડૂત કલ્પેશ પટેલે જણાવ્યુ હતું કે નજીકમાં આવેલ ઉધ્યોગોમાંથી નીકળતા ઝેરી ગેસની અસરના કારણે કપાસના પાકને વ્યાપક નુકશાન થઈ રહ્યું છે. અન્ય જિલ્લાઓમાં આ પ્રકારની કોઈ સમસ્યા નથી ભરૂચ ભરૂચના ચાર તાલુકાનાં ગામોમાં કપાસના પાક પર અસર થઈ રહી છે અને તેના કારણે ખેડૂતોને વ્યાપક નુકશાન પહોંચ્યું છે. કપાસ સહિત કઠોળ અને શાકભાજીના પાકને પણ આ પ્રકારે જ નુકશાન પહોંચ્યું છે ત્યારે તંત્ર આ પ્રશ્નનું નિરાકરણ લાવે એવી તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે.

ભરૂચ જીલ્લામાં ઘણા વર્ષોથી કપાસની ખેતી કરવામાં આવે છે પરંતુ આ વર્ષે પ્રથમ વાર આ પ્રકારની અસર જોવા મળી છે. ભરૂચ જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ મહેંદ્રસિંહ કરમરીયાએ આ અંગે જણાવ્યુ હતું કે કપાસના પાક પર જે અસર થઈ છે એ અકલ્પનીય છે.અદ્રશ્ય રસાયણ હુમલાના કારણે ખેડૂતો પાયમાલીમાં ધકેલાય એવી પરિસ્થિતીનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે આવનારા સમયમાં સરકારનો કૃષિ વિભાગ આ બાબતે કોઈ સ્પષ્ટા નહીં કરે તો સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો આંદોલનનો માર્ગ અખત્યાર કરશે.

કપાસના પાક પર થઈ રહેલ અદ્રશ્ય હુમલો છે શું એ જાણવા કનેક્ટ ગુજરાત દ્વારા કૃષિ તજજ્ઞ નિર્મલસિંહ યાદવનો સંપર્ક કરવામાં આવ્યો હતો. નિર્મલસિંહ યાદવે જણાવ્યુ હતું કે ભરૂચ જીલ્લામાં માટે કપાસએ સફેદ સોનું છે ત્યારે કપાસના પાક પર થઈ રહેલ ગંભીર અસર ખૂબ જ ચિંતાજંક બાબત છે. ઉદ્યોગો માંથી નીકળતા ઝેરી ગેસના કારણે આ અસર ઉદભવી હોવાનું તેઓએ જણાવ્યુ હતું. આ અસરના કારણે કપાસના પાકની જે ગતિએ વૃધ્ધિ થવી જોઈએ એ થતી નથી. હાલ કપાસના પાકનો ગ્રોથનો તબક્કો છે અને આ જ તબક્કામાં છોડની વૃધ્ધિ ન થાય એ ખુબજ ગંભીર છે. આ અસરના કારણે કપાસનો પાક સુકાઈ પણ નથી જતો કે આગળ પણ નથી વધતો. તેઓએ આ બાબતે સરકાર રિસર્ચ કરાવી યોગ્ય પગલાં ભારે એવી માંગ કરી છે.

કાનમ પ્રદેશ એવા ભરૂચની ઓળખ સમાન કપાસનો પાક રસાયણ હુમલાના કારણે આગળ વધી નથી રહયો જેના કારણે ધરતીનો તાત ચિંતામાં મુકાયો છે ત્યારે સરકારના કૃષિ વિભાગ દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈ પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવે એ ખૂબ જ જરૂરી છે.

Read the Next Article

ભરૂચ : જિલ્લાની 67 ગ્રામ પંચાયત રાજની ચૂંટણી માટે યોજાયું મતદાન,મતદારોનો જોવા મળ્યો ઉત્સાહ

ભરૂચ જિલ્લાની કુલ 85 ગ્રામ પંચાયત માટે ચૂંટણીની જાહેરાત થઇ હતી,જેમાંથી 18 પંચાયતો સમરસ જાહેર થઇ હતી,તેથી 67 ગ્રામ પંચાયત માટે ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી

New Update

ભરૂચ જિલ્લામાં પંચાયતીરાજની યોજાઈ ચૂંટણી

67 ગ્રામ પંચાયતો માટે યોજાઈ ચૂંટણી

શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન

વૃદ્ધ અને અશક્ત મતદારોએ પણ બતાવ્યો ઉત્સાહ

ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ  

25 જૂને યોજાશે મતગણતરી

ભરૂચ જિલ્લાની પંચાયતીરાજની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.સવારના 7 વાગ્યાથી શરૂ થયેલા મતદાન પ્રક્રિયામાં મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ભરૂચ જિલ્લાની કુલ 85 ગ્રામ પંચાયત માટે ચૂંટણીની જાહેરાત થઇ હતી,જેમાંથી 18 પંચાયતો સમરસ જાહેર થઇ હતી,તેથી 67 ગ્રામ પંચાયત માટે ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી હતી.જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.અને સવારથી જ મતદારોમાં મતદાન માટેનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ભરૂચના તવરા,ઝાડેશ્વર, બંબુસર સહિતની ગ્રામ પંચાયતો માટે મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.બંબૂસર ગામે સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાઈ હતી.બંબુસર ગામે સરપંચ પદ માટે અત્યાર સુધી સમરસ થતું આવ્યું હતું અને 2021માં ચૂંટણી યોજાઈ હતી.જેમાં મતદાનના 2 દિવસ પહેલા સરપંચ પદના ઉમેદવારનું નિધન થતા ચૂંટણી ઠેલાઈ હતી. સરપંચ પદ માટે હાલ યોજાઈ રહેલી ચૂંટણીમાં બંબૂસર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાઈ છે.જેમાં 3 ઉમેદવારોએ ઉમેદવારી કરતા આજરોજ મતદાન યોજાયું હતું.અને  મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.

આ ઉપરાંત તવરા ગ્રામ પંચાયતની બેઠક પર મતદાન બુથ પર મતદારોની લાંબી કતાર જોવા મળી હતી,અને વરસતા વરસાદમાં પણ મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો.

મતદાન પ્રક્રિયા દરમિયાન પોલીસ દ્વારા અશક્ત મતદારો માટે સરાહનીય કામગીરી કરવામાં આવી હતી,અને લોકશાહીના પર્વમાં વૃદ્ધ અને અશક્ત મતદારોએ ઉત્સાહભેર મતદાન કરીને અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યા હતા.  

અંકલેશ્વર તાલુકામાં 23 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી.તાલુકાની કુલ 27 ગ્રામ પંચાયતમાંથી 4 પંચાયતો સમરસ જાહેર થઈ હતી.23 ગ્રામ પંચાયતોમાંથી 12 ગ્રામ પંચાયતોને સંવેદનશીલ જાહેર કરવામાં આવી હતી.ચૂંટણીની કામગીરીમાં 250 કર્મચારીઓ જોડાયા હતા. મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

અંકલેશ્વરના માંડવા,કોસમડી,સજોદ સહિત 23 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.અને ઉમેદવારોએ પોતાની જીતના દાવા કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આગામી તારીખ 25મી જૂનના રોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતગણતરી યોજવામાં આવશે,અને ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે.

Latest Stories