વલસાડ : ખેડૂતો માટે કેરીની વિવિધ જાતોનું પ્રદર્શન સહિત પરિસંવાદ કાર્યક્રમ યોજાયો...
કૃષિ પ્રયોગિક કેન્દ્ર ખાતે ઉપલબ્ધ આંબાની ૧૮૦ જાતો પૈકી આશરે ૮૦ જેટલી વિવિધ જાતોની કેરીના ફળોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતુ
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પોલીટેકનીક ઈન હોર્ટીકલ્ચર, કૃષિ પ્રયોગિક કેન્દ્ર, પરિયા ખાતે નાયબ બાગાયત નિયામકની કચેરી, વલસાડ તથા નવસારી કૃષિ યુનીવર્સિટીના સંયુક્ત ઉપક્રમે તા. ૧૩મી જૂનના રોજ વલસાડ જિલ્લાના ખેડૂતો માટે "કેરીની વિવિધ જાતોનું પ્રદર્શન અને પરિસંવાદ" નું આયોજન કરાયું હતું.
કૃષિ પ્રયોગિક કેન્દ્ર ખાતે ઉપલબ્ધ આંબાની ૧૮૦ જાતો પૈકી આશરે ૮૦ જેટલી વિવિધ જાતોની કેરીના ફળોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમ અંતર્ગત નવસારી કૃષિ યુનિવર્સીટીના કુલપતિ ડૉ. ઝેડ.પી.પટેલ, કૃષિ પ્રાયોગિક કેન્દ્ર પરિયાના સંશોધક વૈજ્ઞાનિક, ડૉ.ડી.કે.શર્મા અને નાયબ બાગાયત નિયામક દ્વારા આંબાની વીજ્ઞાનિક ખેતી, રોગ જિવાત નિયંત્રણ તથા આંબાવાડીમાં છાંટણી, માવજત અને ખાતર વ્યવસ્થાપન વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લાના ૧૩૪ જેટલા ખેડૂતો, સેંટર ઓફ એક્સેલન્સ ફોર ફ્લોરીકલ્ચર એન્ડ મેન્ગો, ચણવઈના પ્રોજેક્ટ ઓફિસર, નાયબ બાગાયત નિયામક, તાલુકા બાગાયત અધિકારીઓ અને કૃષિ પ્રાયોગિક કેન્દ્રના વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતા.